આપણી ભાષાના અગ્રગણ્ય નવલકથાકાર, વાર્તાકાર અને સત્વશીલ કટારોના લેખક શ્રી રજનીકુમાર પંડ્યા લગભગ ત્રણેક વર્ષના ગાળા પછી એક નવું અને યાદગાર પુસ્તક લઇને આવ્યા છે. ૩૮ જેટલાં ખ્યાતનામ ગુજરાતી સાહિત્યકારોનાં જીવનચિત્રો અને તેમની સાથેનાં પોતાનાં સંસ્મરણોનું આ પુસ્તક ‘શબ્દનાં સગાં’ એવી તો અદ્ભુત યાદો અને વિગતોથી છલકાય છે કે જે એ ન વાંચ્યું હોય તો ચૂક્યા જ સમજો. એ ૩૮માનાં થોડાં જ નામો અહીં લેવા ખાતર... અમૃત ઘાયલ, ગની દહીંવાલા, ખલીલ ધનતેજવી, રમેશ પારેખ (તેમના અંતિમ દિવસો સહીત), ગુલાબદાસ બ્રોકર, ચં. ચિ. મહેતા, ચિનુ મોદી, જોસેફ મેક્વાન, જીવરામ જોશી, તારક મહેતા, દિલીપ રાણપુરા, મકરંદ દવે, વસુબહેન, વિનોદ ભટ્ટ, શેખાદમ આબુવાલા, હરકિશન મહેતા, સરોજ પાઠક વગેરે. ૩૪૦ પૃષ્ઠનું આ પાકા પૂંઠાનું પુસ્તક અવિસ્મરણીય બની રહેશે તેની પ્રતીતિ તેની સામગ્રી જ કરાવી આપે છે. આ ઉપરાંત બોનસ તો એ છે કે એમાં જે તે સાહિત્યકારોની તસવીરો અને એમનાં હસતાક્ષરો પણ સંઘરાયેલા છે.